ઓફિસો ફરી ખુલી છે ત્યારે કોરોના વાયરસને દૂર રાખવા આ પાંચ બાબતોની ગાંઠ વાળી લો

કોરોના વાયરસ જટિલ છે. કોરોના શંકાસ્પદ કેરિયર દ્વારા ફેલાય છે અને સપાટી પર કેટલાય કલાકો અને દિવસો સુધી રહે છે. બીજાને ચેપ લગાવે છે. જો કે, અમુક રણનીતિ અપનાવીને આ બીમારીને દૂર રાખી શકાય છે. ભારતમાં લોકડાઉન 4.0માં ઓફિસો અને ઉદ્યોગ-ધંધા ફરી શરૂ કરવાની છૂટ અપાઈ છે. ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો વાયરસ તમારા ઘર સુધી નહીં પહોંચે. યુએસમાં રહેતા સર્જન અતુલ ગવાન્ડેએ ‘કોમ્બિનેશન થેરપી’ સૂચવી છે. જેની મદદથી કોરોનાના સંક્રમણને અટકાવી શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ ન્યૂ નોર્મલ સાથે જીવવના ચાર આધારસ્તંભ છે. વર્કપ્લેસ સેફ્ટી પ્રોટોકોલ શીખવા માટે હોસ્પિટલો ઉત્તમ ઉદાહરણ છે. મેડિકલ સ્ટાફ આ મહામારીના કપરા કાળમાં કામ કરી રહ્યા છે અને તેઓ આ સંક્રમણનું ટ્રાન્સિમશન ના થાય તેનું ધ્યાન રાખવા માટે જે પગલાં ભરે છે તે નોંધનીય છે. આ ચાર આધારસ્તંભને દુનિયાભરના લોકો અમલમાં મૂકી રહ્યા છે. એવામાં નોકરીના સ્થળે પણ આ ચાર નિયમોનું પાલન થાય તે જરૂરી છે.

ન્યૂયોર્કર મેગેઝિનના એક લેખમાં અતુલ ગવાન્ડેએ કહ્યું, “આ ચાર આધારસ્તંભ આપણને સામાન્ય જીવન તરફ પાછા તો નહીં લઈ જાય. પરંતુ વાયરસ નિયંત્રણમાં આવ્યો હોવાના સંકેત મળે ત્યારે આ બાબતો લોકોને ઘરની બહાર નીકળવામાં અને નવું સામાન્ય જીવન જીવવામાં ઉપયોગમાં આવી શકે છે. ” જાણો એ ચાર આધારસ્તંભ વિશે જે તમારે ‘ન્યૂ નોર્મલ’માં અપનાવવા જ પડશે.

હાઈજિન

એડવાઈઝરિ મુજબ, આપણે જ્યારે પણ હાથ ધોઈએ ત્યારે 20 સેકંડ સુધી એકદમ ઘસીને હાથ ધોવા જોઈએ. 20 સેકંડ દરમિયાન આંગળીઓ, હથેળી, કાંડું અને નખને બરાબર ઘસીને સાફ કરવા. જો કે, અતુલ ગવાન્ડેએ હાથ ધોવાના આવર્તન પર ભાર મૂક્યો છે. એક સ્ટડીને ટાંકીને તેમણે કહ્યું કે, દિવસમાં પાંચ વખત હાથ ધોવાથી શ્વાચ્છોશ્વાસને લગતી સમસ્યાને લઈને હોસ્પિટલ જવું પડે તેવી સ્થિતિનું જોખમ 45 ટકા સુધી ઘટી જાય છે. 2002ના સાર્સ અંગે થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે, દિવસમાં 10થી વધુ વખત એકદમ મસળીને હાથ ધોવાથી ઈન્ફેક્શનનું જોખમ ઘટાડી શકાય છે. જ્યારે ગ્રુપમાં બેઠા હો ત્યારે આવતી-જતી વખતે હાથ ધોવા જોઈએ. વધુ લોકો સાથે બેઠા હોય ત્યારે પણ દર થોડા કલાકે હાથ ધોવા જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે, દરવાજાના નૉબ જેનો સ્પર્શ ઘણાં લોકો વારંવાર કરે છે તેને પણ રોજ ડિસઈન્ફેક્ટ કરવા જોઈએ.

ડિસ્ટન્સિંગ

પ્રાથમિક રીતે કોરોના વાયરસ લોકોના ખાંસવા, છીંકવા, બોલવા સમયે પડતા ડ્રોપલેટ્સના કારણે અથવા ક્યારેક માત્ર શ્વસનથી પણ ફેલાય છે. માટે જ જાહેર સ્થળોએ લોકો વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર જરૂરી બની ગયું છે. અતુલ ગવાન્ડેએ કહ્યું કે, તેમની હોસ્પિટલમાં હવે લિફ્ટમાં એકસાથે માત્ર 4 લોકોને જવાની પરવાનગી આપી છે. અગાઉ એકસાથે 20 લોકો લિફ્ટમાં જતા હતા. ઉપરાંત પરિસરમાં થતી મીટિંગોને પણ હવે વિડીયો મીટિંગમાં ફેરવી દેવાઈ છે. જ્યાં ફેસ-ટુ-ફેસ મળવાનું ટાળી શકાય તેમ ના હોય ત્યાં પ્લેક્સિ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ખુરશીઓ પણ અંતર રાખીને ગોઠવાય છે.

સ્ક્રીનિંગ

એશિયાના અમુક ભાગોમાં કોઈ બિલ્ડિંગમાં કે જાહેર સ્થળોએ પ્રવેશતા પહેલા સ્ક્રીનિંગને જરૂરી બનાવાયું છે. અતુલ ગવાન્ડેની હોસ્પિટલમાં પણ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. કર્મચારીઓ, દર્દીઓ અને મુલાકાતીઓનું દરવાજા પર જ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આ સિવાય અંદર પ્રવેશતાં પહેલા કર્મચારીઓએ એક ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું હોય છે. જેમાં તેમના શરીરમાં કોઈ લક્ષણો દેખાતા નથી તેની પુષ્ટિ કરવાની હોય છે. જો કે, આ પ્રકારનું સ્ક્રીનિંગ સાચું હોય તે જરૂરી નથી કારણકે લોકો જૂઠ્ઠું બોલી શકે છે. પરંતુ આ પ્રકારે રોજેરોજ થતા ચેકિંગે કર્મચારીઓને પ્રેર્યા છે કે, જો કોઈ લક્ષણ હોય તો તે જણાવી દે. જેથી અંદર સારવાર લઈ રહેલા દર્દીઓ ઉપરાંત તેમના પરિવારજનો આ વાયરસની ચપેટમાં ના આવે.

માસ્ક

લક્ષણો ન દેખાતા હોય તેવા દર્દીઓ મોટું જોખમ બની શકે છે અને ઉપર જણાવેલા ત્રણ આધારસ્તંભ આ માટે પૂરતા નથી. માસ્ક પહેરવાથી સ્ત્રોતને કાબૂ કરી શકાય છે. માસ્ક પહેર્યું હોય તો રેસ્પિરેટરિ ડ્રોપલેટ્સ દ્વારા બીજા વ્યક્તિને ચેપ લાગવાનું જોખમ ઘટી જાય છે. એક સ્ટડી પ્રમાણે, સર્જિકલ માસ્ક યોગ્ય રીતે પહેરવાથી કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના રેસ્પિરેટરિ ડ્રોપલેટ્સથી 99 ટકા ફેલાતા અટકાવે છે. હોમમેડ માસ્ક પણ અસરકારક સાબિત થઈ રહ્યા છે. હોમમેડ માસ્ક પહેરનારા લોકો વાયરસ ટ્રાન્સમિશનને 60 ટકા સુધી અટકાવી શકે છે. કપડાંના કે સર્જિકલ માસ્કનું ફીટિંગ બરાબર ના હોય તો તેની સાઈડની જગ્યામાંથી પણ શ્વસન દ્વારા વાયરસ પ્રવેશી શકે છે. જો કે, માસ્ક પહેરવાનો હેતુ અન્ય લોકોને ચેપ ના લાગે તે સુનિશ્ચિત કરવાનો છે. ગવાન્ડેએ કહ્યું, “માસ્ક પહેરવાનો મુખ્ય હેતુ એ છે કે- હું તમારું રક્ષણ કરું, તમે મારું રક્ષણ કરો.”

અતુલ ગવાન્ડેના મતે, આ ચાર આધારસ્તંભ ઉપરાંત પાંચમો પિલર છે કલ્ચર. આ પાંચેયનો સમન્વય થાય તો સંક્રમણથી બચી શકાય છે. ગવાન્ડેએ કહ્યું, “લોકો બે ઈચ્છાઓ પર બળ આપે છે: સુરક્ષા અને આઝાદી. તમે મને સુરક્ષિત રાખો અને એકલો છોડી દો. જો કે, હવે લોકોએ પોતાની સાથે બીજાની પણ ચિંતા કરવી પડશે.” મતલબ કે, કોરોના વાયરસને ગંભીરતાથી લેવો પડશે. નાકમાંથી પાણી નીકળે કે ગળું છોલાતું હોય તેવું લાગે તો ઘરે રહેવાનું પસંદ કરવું પડશે. ઓફિસોએ પણ આ બાબતને પ્રોત્સાહન આપવું પડશે. એક નર્સિંગ ફેસિલિટીમાં આખા સ્ટાફને એક્સટ્રા પેઈડ સિક લીવ આપી છે. જેથી તેમનામાં કોઈપણ લક્ષણ દેખાય તો તે ઘરે રહી શકે.



source https://www.iamgujarat.com/health-news/how-not-to-bring-coronavirus-home-when-return-from-work-554662/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?