કોરોનાથી ડરશો નહીં, ઘરે રહીને જ સંપૂર્ણ સાજા થઈ ગયેલા આ લોકોની વાત તમને હિંમત આપશે

ત્રણ વ્યક્તિઓની પ્રેરણાદાયી વાત

મુંબઈ: દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા મુંબઈમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેવામાં કોરોનાના હળવા લક્ષણ ધરાવતા ત્રણ વ્યક્તિઓએ કઈ રીતે તેઓ ઘરે જ કેટલાક ઉપચાર કરી સાજા થઈ ગયા તેનો અનુભવ અમારા સાથી અખબાર મુંબઈ મિરર સાથે વર્ણવ્યો છે. આ ત્રણેય વ્યક્તિ કેટલાક દિવસો સુધી એક રુમમાં જ બંધ રહ્યા હતા, અને પોતાનું ઈન્ફેક્શન બીજાને ના લાગી જાય તેનું ધ્યાન રાખ્યું હતું.

ઝૂંપડપટ્ટીમાં ફર્યા અને કોરોના થયો

ચેમ્બુરમાં રહેતા સામાજીક કાર્યકર શિવરાજ રામદાસ પંડિત કોરોના શરુ થયો ત્યારથી જ આસપાસની ઝૂંપટપટ્ટીમાં ફરી લોકોને ખાવાપીવાની વ્યવસ્થા કરી આપતા હતા. આ સિવાય લોકડાઉનને કારણે સર્જાયેલી સમસ્યામાં પણ તેઓ લોકોને મદદ કરતા હતા. તમામ વસ્તુનું ધ્યાન રાખ્યા બાદ પણ તેમને 1 મેના રોજ તાવ આવવાનું શરુ થયું. તરત જ તેમણે પોતાના દીકરા અને કેન્સર સર્વાઈવર પત્નીને સંબંધીને ત્યાં રહેવા મોકલી દીધા. તેઓ દીકરી સાથે ઘરે હતા, પરંતુ એક અલગ રુમમાં બંધ રહ્યા.

પ્રાણાયામ અને કપાલભાતીએ ફાયદો કરાવ્યો

તેમની દીકરી તેમના માટે જમવાનું બનાવતી અને વાસણને દરવાજા બહાર મૂકી દેતી. તેઓ વાસણ, કપડાં જાતે ધોતા, રુમની સફાઈ પણ રાખતા. તેમનામાં લક્ષણો ખૂબ જ હળવા હોવાથી તેમણે હોસ્પિટલમાં એડમિટ થવાને બદલે ઘરે રહેવાનું પસંદ કર્યું હતું. આઈસોલેશન દરમિયાન તેઓ સતત વ્યસ્ત રહ્યા, જેથી નવરા બેઠા ખોટા વિચારો ના આવે. આ ઉપરાંત, પ્રાણાયામ અને કપાલભાતી કરવાનો પણ તેમને ખૂબ ફાયદો મળ્યો. તેઓ કપૂરને પાણીમાં નાખી નાસ લેતા, અને અજમાના પાવડરથી પણ તેમને ખૂબ જ રાહત મળી. હવે તેઓ કોરોનાથી મુક્ત થઈ ચૂક્યા છે.

નીતિન ભાનુશાળી ઘરે રહીને થયા રિકવર

સાકીનાકામાં રહેતા નીતિન ભાનુશાળીની કહાની પણ આવી જ છે. 6 મેના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સ્થાનિક તંત્ર દ્વારા તેમને કહેવામાં આવ્યું કે હાલ હોસ્પિટલ કે આઈસોલેશન વોર્ડમાં બેડ ખાલી ના હોવાથી વધારે તકલીફ ના થાય ત્યાં સુધી તેઓ ઘરે જ રહે. વળી, તેઓ બે બેડરુમના ઘરમાં રહેતા હતા, એટલે એક રુમમાં તેઓ પોતાને આઈસોલેટ કરી શકે તેમ હતા.

15 દિવસ એક રુમમાં બંધ રહ્યા

નીતિન ભાનુશાળી 15 દિવસ સુધી એક જ રુમમાં બંધ રહ્યા. આ દરમિયાન તેમણે પોતાની જાતને વાંચન, એક્સસાઈઝ અને ગીટારની પ્રેક્ટિસ કરવામાં સતત વ્યસ્ત રાખી. તેઓ બે વાર ગરમપાણીની નાસ લેતા, કોગળાં કરતા. આ સિવાય, તેઓ રોજનું 4-5 લિટર ગરમ પાણી પીતા, જેમાં સૂકું આદુ, ગીલોય, મેથી અને હળદર મિક્સ કરતા. સવારે રોજ અડધો કલાક પ્રાણાયામ કરવા ઉપરાંત નિશ્ચિત સમયે તેઓ પોષણયુક્ત આહાર પણ લેતા. ડોક્ટરે તેમને મલ્ટિવિટામિન અને વિટામિન સીની ગોળીઓ પણ આપી હતી. તેમના પિતાએ તેમને જે શિડ્યૂલ બનાવી આપ્યું હતું તેને 15 દિવસ ફોલો કરી તેઓ કોરોનાથી મુક્ત થઈ ગયા હતા.

33 વર્ષની શોમાએ કોરોનાને હરાવ્યો

33 વર્ષની શોમા દત્તા એક મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરે છે. 15મી મેના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોતાના વૃદ્ધ માતાપિતા સાથે રહેતી શોમાને ચિંતા હતી કે ક્યાંક તેમને પણ ચેપ ના લાગી જાય. તેને તાવ સાથે ગળામાં બળતરા થઈ રહી હતી. જોકે, પેરાસિટામોલ લીધા બાદ તાવ ઉતરી ગયો હતો. લક્ષણો હળવા હોવાથી તેને પણ ઘરે રહેવા પરવાનગી અપાઈ હતી.

ગળું સૂકાવું ના જોઈએ

શોમા રોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીતી, અને સવારે આંબળાનો જ્યૂસ પીતી. તે સતત પાણી પીધા રાખતી, જેથી ગળું સૂકાય નહીં. તે સમયસર જમવાનું પણ ખાઈ લેતી. ક્યારેક ભૂખ ના હોય તો પણ તે નિશ્ચિત સમયે ફરજિયાત ખાઈ લેતી. ગરમ પાણીમાં નાસ લેવા ઉપરાંત તે તેના કોગળાં પણ કરતી. આમ, પોઝિટિવ વિચારો અને ઘરે જ આઈસોલેશનમાં રહીને જ તે પણ કોરોનામાંથી મુક્ત થઈ ગઈ છે.

આટલું ખાસ ધ્યાન રાખો

અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, જો તમારો રિપોર્ટ પોઝિટિવ આવે પરંતુ તમારામાં કોરોનાના લક્ષણો હળવા હોય તો જ ઘરે રહેવું હિતાવહ છે. જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, સતત ઉધરસ આવતી હોય અને ઘરે આઈસોલેશનમાં ટોઈલેટ-બાથરુમ સાથેનો અલાયદો રુમ ના હોય તો સરકારી ફેસિલિટીમાં જ ક્વોરન્ટાઈન થવું હિતાવહ છે.



source https://www.iamgujarat.com/health-news/how-these-corona-patients-beat-it-with-home-isolation-557080/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?