કોરોના: ઘરે રહીને ભણતાં બાળકો માટે જરૂરી છે સંતુલિત આહાર, ડાયટિશન ઋજુતા દિવેકરે આપી ટિપ્સ
બાળકો માટે ઋજુતા દિવેકરની ટિપ્સ
બોલિવુડ બ્યૂટી કરિના કપૂર ખાનની ફિટનેસ જાળવી રાખવામાં સેલિબ્રિટી ડાયટિશન ઋજુતા દિવેકરનો મોટો ફાળો છે. ઘણા ઈન્ટરવ્યૂમાં કરિના પોતાની ફિટનેસનો શ્રેય ઋજુતા દિવેકરને આપી ચૂકી છે. હવે પોપ્યુલર ડાયટિશને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઓનલાઈન ક્લાસ લઈ રહેલા બાળકો માટે સરળ ફૂડ ટિપ્સ આપી છે. કોરોના મહામારીના કારણે બાળકો સ્કૂલો નથી જઈ શકતા અને ઘરે જ ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. એવામાં ઋજુતા દિવેકરે જણાવ્યું કે બાળકો માટે સંતુલિત આહાર કેટલો જરૂરી છે. ઋજુતા દિવેકરે પાંચ ટિપ્સ આપી છે જેનાથી આ સમયગાળા દરમિયાન બાળકોને પૂરતું પોષણ મળી રહે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ફળ

બાળકોને દિવસ દરમિયાન એક તાજું ફળ અચૂક ખવડાવો. બાળકને કેળું અથવા કેરીનો મિલ્ક શેક અથવા જામફળ આપી શકો છો. નાસ્તામાં પૌંઆ, ઉપમા, ઢોંસા અથવા ઈડલી ઘરે જ બનાવીને આપો.
શા માટે?– આ બધી જ વસ્તુઓમાં વિટામિન અને પોલીફેનોલ રહેલું છે, જે પાચન અને મૂડ સુધારવામાં અસરકારક છે. આ ખોરાકથી બાળકમાં જંક ફૂડ ખાવાની ઈચ્છા ઘટે છે.
લંચમાં શું આપશો?

લંચમાં દાળ, ચણા, રાજમા, છોલે અથવા મગની દાળ કે કોઈપણ દાળ ખવડાવો. આ કઠોળને પહેલા આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે ભાત સાથે પીરસો. ભોજન બાદ બાળકોને એક ગ્લાસ ભરીને ઘરે જ બનાવેલી છાશ આપો.
શા માટે?– પ્રી અને પ્રો-બાયોટિત, મિનરલ અને એમિનો એસિડથી ભરેલો ખોરાક પચવામાં સરળ હોય છે.
દહીં અને દ્રાક્ષ
દિવસમાં એક વખત બાળકને ગમે ત્યારે એક વાટકી દહીંની સાથે દ્રાક્ષ આપો.
શા માટે?– આ બંને વસ્તુઓ લોહતત્વ અને વિટામિન B12થી ભરપૂર હોય છે. જેનાથી થાક અને ગરમી દૂર ભગાડવામાં મદદ મળે છે. સાથે જ હોર્મોન્સ સંતુલિત રાખે છે. ભૂખને પણ નિયંત્રિત કરે છે.
ડિનર ટાઈમ

સાંજે સાત વાગ્યા સુધીમાં ડિનર કરી લેવું. ડિનરમાં પનીર પરાઠા કે રોટલી-શાકનો રોલ કે અજમાના પરાઠા, જુવારની ભાખરી સાથે બટાકાની સૂકીભાજી અથવા વેજપુલાવ સાથે રાયતું અને પાપડ આપી શકો છો.
શા માટે?– ડિનર માટે જણાવેલા આ વિકલ્પોમાં ભરપૂર પોષણ હોય છે, જે બાળક માટે સંપૂર્ણ આહારનું કામ કરે છે. અઠવાડિયામાં એકવાર ઘરે પિઝા, પાઉંભાજી, પાસ્તા અથવા બીજી કોઈપણ વાનગી બનાવી શકો છો. પરંતુ આ બધી વસ્તુઓ સાંજના 7 વાગ્યા પહેલા ખવડાવી દો તે જરૂરી છે.
હળદરવાળું દૂધ

રાત્રે ઊંઘતા પહેલા બાળકને હળદરવાળું દૂધ અથવા મેંગો શેક અથવા ગુલકંદનું દૂધ અથવા તાજું કેળું કે કેરી આપો.
શા માટે?- આ વસ્તુઓ ખાવાથી ઊંઘ સારી આવશે.
આ સાથે જ ઋજુતા દિવેકરે એક ખાસ ટિપ આપી છે જેમાં ખાવાનું શું બનાવવું અને તેના પ્લાનિંગમાં બાળકોને સામેલ કરો. ઋજુતાના મતે, ઘરે રહીને ભણતા બાળકોને પૂરતા પોષણની જરૂર હોય છે. માટે જો તમે પણ તમારા બાળકને સંતુલિત અને પૌષ્ટિક આહાર આપવા માગતા હો તો આ ટિપ્સ ફોલો કરો.
source https://www.iamgujarat.com/health-news/food-tips-from-rujuta-diwekar-for-kids-studying-from-home-567192/
Comments
Post a Comment